- જાહેર સ્થળોએ પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારી ગંદકી ફેલાવતા મુસાફરો સામે તંત્રએ લાલ આંખ કરી
- મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને અન્ય ડેપો પર સ્વચ્છતા જાળવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારી ગંદકી ફેલાવતા મુસાફરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બસ સ્ટેશનો પર જાહેર આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી કરવાનો છે.

વડોદરા વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિવિધ ડેપો અને બસ સ્ટેશનો પર કરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 30 કેસ નોંધાયા હતા. આ મુસાફરો જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા અને તમાકુજન્ય પદાર્થો ખાઈને ગંદકી કરવા બદલ દોષિત જણાયા હતા, જેમના પાસેથી અંદાજે 26,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

એસટી તંત્ર દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તંત્રએ તમામ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ નશો કે ગંદકી ન કરે અને સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે.


