- 7609 કરોડના ડ્રાફ્ટમાં 63.21 કરોડનો વધારો; 3 દિવસીય વિશેષ સભામાં મંજૂરી પ્રક્રિયા શરૂ
- વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની અઠવાડિયામાં એક વખત ભવ્ય આરતી કરવામાં આવે તેવું આયોજન બજેટમાં કરાયું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7609 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં 63.21 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિ દ્વારા 7672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટની મંજૂરી માટે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આરંભ આજથી થયો છે. અંદાજે 3 દિવસ સુધી આ વિશેષ સામાન્ય સભા યોજાશે. આજે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સભા સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરના નાગરિકો ઉપર કોઈ પણ જાતનો કર દરનો વધારો કરવામાં આવ્યો નથી. વડોદરાના નાગરિકો માટે વેરો ભરવામાં તકલીફ ન પડે તે માટે ઓનલાઇન વેરો ભરી શકાય તે માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા ઇન્ડસ્ટ્રીયલ હબ છે ત્યારે સીએસઆર એક્ટિવિટી અંતર્ગત વિકાસ કાર્યોને વેગ મળે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મનપાની જૂની ઈમારતો તોડી નવી ઈમારતો બનાવવાનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન છે. જે અંગેની મંજૂરી માટે રજૂ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા બોર્ડની ટર્મ પંચ વર્ષની હોય છે જેથી પાંચ બજેટ રજૂ કરી શકે છે. પરંતુ આ બોર્ડ દ્વારા છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે ઐતિહાસિક છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સતત ત્રીજી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત પિંક ફીડિંગ રૂમ બનાવવા માટેનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ ઝોનમાં આ આયોજનો હાથ ધરવામાં આવશે. શહેરમાં આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાનો બનાવવાનું આયોજન છે. એક વર્ષમાં 10,000 મકાનો બનાવવામાં આવશે જે અંગેનું સૂચન બજેટમાં કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કેપિટલ એક્સપેન્ડિચરમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં શહેરની વિકાસની હતી 3થી 4 ગણી વધી છે એમ સ્થાયી સમિતિના ચેરમેને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની અઠવાડિયામાં એક વખત ભવ્ય આરતી કરવામાં આવે તેવું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. સુવર્ણજડિત પ્રતિમાં સમક્ષ નાગરિકોની જોડાણ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.


