વડોદરા કોર્પોરેશનને વર્ષ 2025-26 વેરા વળતર યોજના અંતર્ગત 159.78 કરોડની આવક થઈ

ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે, આવતીકાલે છેલ્લો દિવસ

MailVadodara.com - Vadodara-Corporation-received-a-revenue-of-Rs-159-78-crore-under-the-tax-compensation-scheme-for-the-year-2025-26

- યોજનાની મુદત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડ આવક વધી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તા.15 જૂન સુધી લંબાવવામાં આવી હતી. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને 159.78 કરોડની આવક થઈ ચૂકી છે. અગાઉ એક માસ માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી આ યોજના અમલમાં મૂકી હતી.

આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તા.23 મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને 15 જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે કોર્પોરેશનને આશરે 134 કરોડની આવક મળી ચૂકી હતી. યોજનાની મુદત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડ આવક વધી છે. આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું છે. ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં 159.78 કરોડ આવી ચૂક્યા છે.

Share :

Leave a Comments