- કોર્પોરેશને બાકીદારો માટે વ્યાજ માફી યોજનાની મુદત 31 માર્ચ સુધી લંબાવી
વડોદરા નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કમર કસી છે. શહેરના બાકીદારો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવા માટે તંત્ર હવે પૂરેપૂરા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાડી સહિત જૂના વિસ્તારો, જ્યાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી છે, ત્યાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નાગરિકોને વેરો ભરવામાં સરળતા રહે અને ખાસ કરીને નોકરીયાત વર્ગ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી શકે તે હેતુથી કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માર્ચના અંત સુધી તમામ શનિવાર અને રવિવાર જેવા જાહેર રજાના દિવસોમાં પણ શહેરની તમામ વોર્ડ ઓફિસો વેરો સ્વીકારવા માટે ખુલ્લી રાખવામાં આવશે. આ નિર્ણયથી ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થવાની તંત્રને આશા છે.
કોર્પોરેશને બાકીદારો માટે રાહતના સમાચાર આપતા વ્યાજ માફી યોજનાની મુદત 31 માર્ચ સુધી લંબાવી છે. બાકી વેરાના વ્યાજ પર 80% સુધીની માફી. વ્યાજમાં 60% સુધીની મોટી રાહત. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ યોજનાનો લાભ લેવા માટે 31 માર્ચ એ છેલ્લી તારીખ છે. ત્યારબાદ બાકીદારોએ પૂરેપૂરું વ્યાજ ચૂકવવું પડશે.
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે મિલકતધારકો આ રાહત યોજનાનો લાભ નહીં લે અને વેરો ભરવામાં આળસ કરશે, તેમની સામે એપ્રિલ મહિનાથી કડક પગલાં લેવામાં આવશે. જેમાં મિલકતોને સીલ કરવાની કામગીરી, જંગમ મિલકતોની જપ્તી, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી કાર્યવાહી થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, શહેરી વિકાસના કાર્યોમાં સહભાગી બનવા અને કાનૂની ગૂંચવણોથી બચવા માટે સમયસર વેરો ભરી વ્યાજ માફીનો મહત્તમ લાભ લેવો.


