- ફાયર વિભાગની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા
- ભાજપ કાર્યકરનો પુત્રનું મોત થતાં હોસ્પિટલે ભાજપના નેતાઓ દોડી આવ્યા હતાં
- 9 પૈકી કેટલાકને તરતાં આવડતું હોય તેઓએ એકબીજાને બચાવી બહાર નીકળી ગયા હતા

વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોની ઓળખ કૃષ્ણા વિજયભાઇ રાજપૂત (ઉંમર 22 વર્ષ, રહે. પ્રકાશ યુવક મંડળ પાસે, દાંડિયા બજાર) અને જય સુબોધભાઇ જોગલેકર (ઉંમર 23 વર્ષ, રહે. કારેલીબાગ, વડોદરા) તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે. કોટના બીચ પર ન્હાવા માટે નવ વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું. ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. નવ પૈકી કેટલાકને તરતાં આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતાં. ઘટનાના સમાચાર મળતાં જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી. મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ક્રિષ્ના વિજય રાજપુત અને કારેલીબાગ વિસ્તારના જય સુબોધ જોગલેકરનું ડૂબી જવાથી અકાળે મોત થયું છે. મૃતકો પૈકી એક યુવક જય જોગલેકર ભાજપ કાર્યકરનો પુત્ર હોવાથી આ દુઃખદ ઘટનાની જાણ થતા જ વોર્ડ નં.7ના કોર્પોરેટર અને દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે. હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા ન્હાવા માટે જતા હોય છે.


