- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સઘન પૂછપરછમાં કબૂલ્યું કે, 10 દિવસ પહેલાં બાજવાડાના બંધ મકાનમાં રાત્રે ચોરી કરી હતી, ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યા
વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા મકાનમાં રાત્રે ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં અજાણ્યા ચોરે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી, લાકડાની તિજોરીમાંથી આશરે 1.76 લાખની કિંમતના 7.5 તોલા સોનાના દાગીના અને 1.5 કિલો ચાંદીના વાસણો 1,97,500 રૂપિયા માલમત્તા ચોરી કરી હતી. આ કેસનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે અને બે આરોપીને ઝડપી પાડી 5.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે કારેલીબાગ વિસ્તારમાં ચોરીના સોના-ચાંદીના દાગીના અને વાસણો વેચવાનો પ્રયાસ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી મનસુખ ઉર્ફે મનીષ વિષ્ણુભાઇ દંતાણી (ઉં.વ. 23, રહે. ભાથુજીનગર, અલવા નાકા, માંજલપુર, વડોદરા, મૂળ રહે. ઉમરેઠ, જિ. આણંદ)ના તેના પેન્ટના ખીસ્સામાંથી સોનાના પાટલાની જોડ, લેડીઝ કયડો (વીંટી) અને બુટ્ટી સાથેનો સેટ મળી આવ્યો હતો જ્યારે આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઇ દેવીપૂજક (ઉં.વ. 28, રહે. ટાઉન હોલ, બિગ બજાર, વિધાનગર રોડ, આણંદ), તેની થેલીમાંથી ચાંદીના વાસણો (થાળી-1, ડીશ-1, ચમચી-1, વાટકી-2, લોટો-1, ગ્લાસ-1) મળી આવ્યા હતા. બંને આરોપીઓ ચોરીના મુદ્દામાલના બિલ કે પુરાવા રજૂ કરી શક્યા નહોતા. આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ્યું કે, 10 દિવસ પહેલાં બાજવાડાના બંધ મકાનમાં રાત્રે ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે, જેમાં મનસુખ ઉર્ફે મનીષ અગાઉ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, કપડવંજ પોલીસ સ્ટેશનમાં વાસણોની ચોરી અને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના કેસમાં પકડાયેલો છે. અને આકાશ ઉર્ફે પપ્પુ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે.