- લાઇન નંબર 6ને મેઇન લાઇન સાથે જોડાઈ, યાર્ડ ઓપરેશનમાં કાર્યક્ષમતા વધારાઈ
પ્રતાપનગર રેલવે સ્ટેશન પર ટ્રાફિક સંચાલન વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે હાથ ધરાયેલ ટ્રેક સુધારણા કાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2022-23 દરમિયાન રૂ.10.69 કરોડના ખર્ચે મંજૂર થયેલ આ પ્રોજેક્ટ હેઠળ લાઇન નંબર-6ને ડાઉન મેઇન લાઇન સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેનાથી યાર્ડ ઓપરેશન વધુ અસરકારક બનશે. કામના ભાગરૂપે પોઈન્ટ નંબર 119/120 દૂર કરવામાં આવ્યા છે, જ્યારે પોઈન્ટ નંબર 121/122ને સ્થળાંતર કરાયા છે. ઉપરાંત, પ્લેટફોર્મ નંબર 4 અને 5ને વિસ્તૃત કરીને લાંબી ટ્રેનોને અનુકૂળ બનાવવામાં આવ્યા છે.
ટેકનિકલ સુધારણા હેઠળ સિંગલ સ્લિપ ડાયમંડ નંબર 104/105ને દૂર કરીને સરળ 112 ટર્નઆઉટ લગાવવામાં આવ્યો છે, જેનાથી ટ્રેકની જટિલતા ઘટી છે અને સુરક્ષામાં વધારો થયો છે. આ વિકાસકાર્યના પરિણામે પ્લેટફોર્મ નંબર 6 અને 7 પર આવતી ડાઉન ટ્રેનોના રિસેપ્શન દરમિયાન થતો વિલંબ ઘટશે. સાથે જ પ્લેટફોર્મ નંબર 4 અને 5 હવે 22 એલએચબી કોચ સુધીની ટ્રેનો સંભાળી શકશે. આ સુધારણાથી મુસાફર ટ્રેનોની સમયપાબંદીમાં સુધારો થશે તેમજ યાર્ડની કાર્યક્ષમતા અને ઓપરેશનલ મોબિલિટી વધશે.


