- પોર પાસે ઇંટોલા ગામે રહેતા આધેડની ઢાઢર નદીમાંથી લાશ ત્રણ દિવસે મળી, બીજા બનાવમાં શાહપુરા નવીનગરીમાં રહેતા આધેડનો પગ લપસી જતાં નદીના ઊંડા કાંસમાં ડૂબી જતા મોત
વડોદરા જિલ્લામાં ઢાઢર નદીમાં આવેલા પૂરમાં બે તેમજ રંગાઇ નદીના પૂરમાં એક વ્યક્તિ મળી કુલ ત્રણના ડૂબી જતા મોત નિપજ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના માંગલેજ ગામમાં નવીનગરી ખાતે રહેતો ૪૦ વર્ષનો દશરથ મનુભાઇ રાઠોડિયા ગામ પાસેની રંગાઇ નદીમાં પૂર આવતા બપોરે નદીના પૂરનું પાણી જોવા માટે ગયો હતો ત્યારે અચાનક પગ લપસી જતા પાણીમાં લાપત્તા થઇ ગયો હતો.
અન્ય બનાવમાં પોર પાસે આવેલા ઇંટોલા ગામે સિકોતરનગરમાં રહેતા રામસીગ ચતુરભાઇ વસાવા (ઉ.વ.૫૪) તા.૪ના રોજ સવારે ઘેરથી નીકળ્યા બાદ તેમનો કોઇ પત્તો ન હતો દરમિયાન પાદરા તાલુકાના કોઠવાડા ગામની સીમમાં ઢાઢર નદીના પાણીમાંથી ગઇકાલે ત્રણ દિવસ બાદ લાશ મળી હતી. ઢાઢર નદીના પૂરના ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે તા.૬ના રોજ ઢળતી બપોરે ચાર વાગે પોર પાસે જ આવેલા શાહપુરા નવીનગરીમાં રહેતા ધુળાભાઇ વિઠ્ઠલભાઇ તડવી (ઉ.વ.૬૦) ગામની સીમમાં ગયા હતા ત્યારે શાહપુરાથી હાંસજીપુરા જવાના રોડ પર વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તા પર આવી જતા પગ લપસી જતા તે કાંસમાં ડૂબી ગયો હતો. દરમિયાન બીજા દિવસે સવારે ભારે શોધખોળ બાદ નદીના ઊંડા કાંસમાંથી તેની લાશ મળી હતી.


