- મોબાઇલ પર 10 હજારના 4 ટ્રાન્જેક્શન થયાના મેસેજ આવતા પર્સ ચોરાયાંની જાણ થઇ
વડોદરાના હરણી રોડ ખાતે રહેતા એક સિનિયર સિટીઝનનું પર્સ ચોરી જનાર ગઠિયાએ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
હરણી રોડ સુગમ પાર્ક બે પાછળ શ્રીનાથજી બંગલોઝ ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા દિનેશભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઈ તા.11મી એ મારે લુણાવાડા જવાનું હોવાથી બપોરે 1230 વાગે હરણી રોડ પરથી લુણાવાડા જતી બસમાં બેઠો હતો.
લુણાવાડા નજીક મારા મોબાઈલ પર મેસેજ આવવા માંડતા મેં ચેક કર્યું તો એસબીઆઈના એકાઉન્ટમાંથી રૂપિયા 10,000ના 4 ટ્રાન્જેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પર્સ તપાસતાં મળી આવ્યું ન હતું. પર્સમાં એટીએમ કાર્ડ તેમજ તેના પિન નંબર લખેલી સ્લીપ મૂકેલી હતી. જેનો લાભ ગઠિયાએ ઉપાડ્યો હોવાનું મનાય છે. હરણી પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


