વડોદરા મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી પ્રોજેક્ટ મામલે પર્યાવરણ પ્રેમીઓની બનેલી સમિતીના સભ્યો સાથે મંગળવારે (1 જુલાઈ) વિશેષ બેઠક મળી હતી. આ બેઠક બાદ સમિતીએ આગામી 17 જુલાઇ સુધીમાં પર્યાવરણ પ્રેમીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો બીજો રિપોર્ટ જાહેર કરશે તેમ જણાવ્યું હતું.
મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે પર્યાવરણ પ્રેમીઓ સાથે ચર્ચા થઇ હતી.

આ બેઠક બાદ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી 17 તારીખ સુધીમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો બીજો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે કમિટીના મેમ્બર છીએ. જેથી ઓથોરિટીને અમે જવાબ આપી શકીએ. અમને બોલવાની છૂટ નથી અને અમે જે કહીશું તે લેખિતમાં કહીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે નદીના બે કિનારા સિવાયની જગ્યાઓનો મેપ બનેલો છે, અમારા માટે વોટર લોગીંગ, શહેરનાં રસ્તા પર ભુવા પડે છે અને પાયામાં શું ફેરફાર થઇ શકે તે મુદ્દો છે અને તે વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમારા રિપોર્ટમાં અમે ડોક્યુમેન્ટ પણ આપેલા છે અને વડોદરાના નાગરિકો અને એકસપર્ટ માહિતીનો ઉપયોગ કરી વેરીફાઇ પણ કરી શકે છે પણ અમારી મર્યાદા છે તેને હું ઓળંગી ના શકું.


