- અંદાજે 25 વર્ષ જુનો બ્રિજ હાલ 13.50 મીટરનો છે, જે બ્રિજને વધારીને 18.50 મીટર પહોળો કરવાનું નગરનિર્માણ વિભાગ દ્વારા આયોજન, 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે
વડોદરા શહેરના નાગરવાડાથી બહુચરાજી તરફ જતો વર્ષો જુનો બ્રિજ રૂપિયા 7 કરોડના ખર્ચે પહોળો કરવામાં આવશે. અંદાજે 25 વર્ષ જુનો બ્રિજ હાલ 13.50 મીટરનો છે જે બ્રિજને વધારીને 18.50 મીટર પહોળો કરવાનું આયોજન નગરનિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરના બે વિસ્તારોને જોડતા અને વાહનોથી ધમધમતો આ બ્રિજ પહોળો કરાયા બાદ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સ્થાયી સમિતીમાં મંજૂરી માટે આવેલી દરખાસ્ત મુજબ ટ્રાફિક સમસ્યા દૂર કરવા કન્સલ્ટન્ટ કસાડ કન્સલટન્ટ્સ પ્રા. લિ. દ્વારા તૈયાર કરાયેલા (GAD) આધારે આ પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ કામ માટે સૌપ્રથમ બે વાર પ્રોસેસ કરવામાં આવી હતી. આ ભાવપત્રને વિવિધ સ્તરે સમીક્ષા કર્યા બાદ ટેન્ડર કમિટીએ 29 ઓગસ્ટ 2028ના રોજ મંજૂરીની ભલામણ કરી છે.
આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023-24 હેઠળની જોગવાઈમાંથી હાથ ધરવામાં આવશે. આ માટે કુલ રૂપિયા 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કામગીરી 12 માસમાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્ય બ્રિજ માટે ડિફેક્ટ લાયાબીલીટી પીરિયડ 10 વર્ષ અને માર્ગ કાર્ય માટે 5 વર્ષ રહેશે. આ બ્રિજના વિસ્તરણ બાદ નાગરવાડા- બહુચરાજી માર્ગ પર ટ્રાફિક દબાણ ઓછું થશે અને દરરોજ પસાર થતા વાહનચાલકોને રાહત મળશે.


