- બેઠક શરૂ થતા પહેલાં અમદાવાદમાં બનેલી દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સ્થાયી સમિતિ સભ્યોએ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં વડોદરા શહેરનાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને પ્રાર્થના સભા, બેસણાં માટે અતિથિગૃહ, કોમ્યુનિટી વિનામુલ્યે આપવામાં આવશે. આ ઠરાવ શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ વિભાગોની કુલ 8 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. શુક્રવાર, તા. 13 જૂને મળેલી બેઠકમાં આ તમામ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામા આવી છે. બેઠક શરૂ થતા પહેલાં અમદાવાદમાં બનેલી દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સ્થાયી સમિતિ સભ્યોએ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
અમદાવાદની ઘટનાને પગલે સ્થાયી સમિતિની બેઠકમાં કોઇપણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. મંજૂર કરાયેલા કામોમાં પૂર્વ ઝોનમાં સિવિલ કામો, રસ્તા સુધારણા, વરસાદી ચેનલ, ઝાડોની કાપણી, ઢોર ડબ્બાની સંભાળ તેમજ ઝુના પ્રાણીઓ માટે ચારો ખરીદીના કામોનો સમાવેશ થાય છે. સાથે સાથે કેટલાક જૂના કન્સલ્ટન્ટના કરાર પૂર્ણ થતાં નવી એજન્સીઓની નિમણૂક કરવા માટેની દરખાસ્તને મંજૂર કરાઈ છે.