સાવલીમાં પહેલા જ વરસાદે ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, ધોધમાર વરસાદથી માર્ગ બંધ થતા વાહનવ્યવહાર ઠપ્પ થયો

MailVadodara.com - The-first-rain-in-Savli-washed-away-the-drain-between-Dhantej-Sadhapura-leaving-many-villages-without-communication

- પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે નાળું તૂટી જતાં ગ્રામ્ય વિસ્તારના 10થી વધુ ગામો અસરગ્રસ્ત બન્યા

વડોદરા જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ગઈ મોડી રાત્રે સાવલી તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે પાણીના તીવ્ર વહેણને કારણે ધનતેજ અને સધાપુરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું ધોવાઈ ગયું છે. આ ઘટનાને પગલે આસપાસના અનેક ગામોનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.


સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે સાવલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન ધનતેજ-સધાપુરા રોડ પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તે રસ્તા વચ્ચેના નાળાને વહાવી ગયો હતો. નાળું તૂટી જતાં રસ્તો વચ્ચેથી ફંટાઈ ગયો છે અને વાહનોની અવરજવર માટે લાયક રહ્યો નથી.

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! 2 - image

આ માર્ગ બંધ થઈ જવાથી ધનતેજ અને સધાપુરાની આસપાસના 10થી વધુ ગામોના લોકોને સીધી અસર થઈ છે. જ્યાં સુધી તંત્ર દ્વારા આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, ત્યાં સુધી સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડશે. ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, રોજગાર માટે જતા નોકરીયાતો અને વેપારીઓ અને પોતાનો માલ બજાર સુધી પહોંચાડતા ખેડૂતો હેરાન છે.  આ તમામ વર્ગના લોકોને હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે લાંબો પ્રવાસ ખેડીને, દૂરના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

ચોમાસું શરૂ થતાં પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરતા અધિકારીઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર એક જ રાતના વરસાદમાં જો આ સ્થિતિ સર્જાતી હોય, તો આખું ચોમાસું કેવી રીતે પસાર થશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. લોકોની એક જ માગ છે કે માર્ગ મકાન વિભાગ દ્વારા આ તૂટેલા નાળાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવે જેથી જનજીવન ફરી પાટા પર આવી શકે.

Share :

Leave a Comments