- મૃતક યુવક પોતાના માતા-પિતાની છત્રછાયા અગાઉથી જ ગુમાવી ચૂક્યો હતો અને પરિવારનો એકમાત્ર સંતાન હોવાનું જાણવા મળ્યું
વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી એરડા કંપનીમાં કામ દરમિયાન કરંટ લાગતા એક એપ્રેન્ટિસ યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે કંપનીની સુરક્ષા અને સેફ્ટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![]()
મૃતક યુવક પોતાના માતા-પિતાની છત્રછાયા અગાઉથી જ ગુમાવી ચૂક્યો હતો અને પરિવારનો એકમાત્ર સંતાન હોવાનું જાણવા મળ્યું છે. તેના અકાળે અવસાનથી પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે દુઃખ અને અરેરાટી ફેલાઈ ગઈ છે. આશાસ્પદ યુવકના મોતથી તેના પડોશમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક ગોવિંદસિંગ ભંડારીએ જણાવ્યું હતું કે, એ યુવક મારા મકાનમાં ભાડેથી રહે છે અને મારા નાના ભાઈ જેવો છે, તેના માતા-પિતા પણ નથી. તે એરડા કંપનીમાં ટ્રેનિંગમાં નોકરી કરતો હતો. ત્યાં સવારે કંપનીમાં જ ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરના કરંટથી તેનું મૃત્યુ થઈ ગયું, અને તેને કોઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી નહોતી, તેના મોઢામાંથી ફીણ બહાર આવી ગયું હતું. આ લોકો અત્યારે તેને અહીં હોસ્પિટલ લઈને આવ્યા છે. અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો છે. મને આ બાબતમાં ન્યાય જોઈએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છોકરાનું નામ હર્ષ સાહની છે. તે ITI કરીને ટ્રેનિંગમાં જોડાયો હતો. આ કંપનીમાં આ ત્રીજું મૃત્યુ થયું છે. અહીં સેફ્ટીના નામે કંઈ જ નથી. જો સેફ્ટી હોત તો આવું થાત ખરું? દેશમાં આટલી મોટી-મોટી કંપનીઓ છે, આવી રીતે કામ ચાલે છે? તે ગરીબ છોકરો મરી ગયો, આની જવાબદારી કોણ લેશે? આ લોકો તો હાથ ઊંચા કરી દેશે કે અમે તો ટ્રેનિંગમાં રાખ્યો હતો. ટ્રેનિંગની અંદર આટલા નાના છોકરાને રાખવો જ ન જોઈએ.
ઘટનાને લઈને સ્થાનિક રહિશો અને પડોશીઓએ કંપની પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, કંપનીની ઘોર બેદરકારી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના બાદ કંપનીમાં કર્મચારીઓ માટેની સેફ્ટી વ્યવસ્થા, સુરક્ષા સાધનો અને કામકાજની પદ્ધતિઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.


