- લાશ ડી-કમ્પોઝ થઈ ગયેલી હોવાથી તે લગભગ 15 દિવસ જૂની હોવાનું પ્રાથમિક અનુમાન
- મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પોલીસે ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી

વડોદરા શહેરના નવલખી મેદાનમાં અવાવરુ જગ્યામાં ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે. લાશ ડી-કમ્પોઝ થઈ ગયેલી હોવાથી તે લગભગ 15 દિવસ જૂની હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના નવલખી મેદાનમાં કોઈ વ્યક્તિને દુર્ગંધ આવતા ત્યાં જઈને જોતા મૃતદેહ જોયો હતો. આ ઘટનાની જાણ થતા તુરંત જ માહિતી મળતાં રાવપુરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશ ખાડામાંથી બહાર કાઢી હતી અને પંચનામું તૈયાર કર્યું અને વધુ કાર્યવાહી માટે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં ગુમ લોકોની ફરિયાદોની ચકાસણી પણ શરૂ કરી છે. લાશ 15 દિવસ પહેલા જુની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અવાવરુ જગ્યા હોવાથી કોઈએ મૃતદેહને જોયો નહતો.

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી જે પટેલે જણાવ્યું હતું કે, અમને માહિતી મળતાંની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.


