- સયાજીગંજ પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો
સયાજીગંજ ભીમનાથ મહાદેવ મંદિરના કંપાઉન્ડમાં એકલી રહેતી મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ મંદિરના પરિસરમાં આવેલ ઘરમાંથી 57 વર્ષીય મહિલા દીપાબેન ભટ્ટનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે FSLની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. મહિલાનું પાંચ દિવસ પહેલા કુદરતી મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ મારવા લાગી હતી, જેથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાના પરિવારજનોને બોલાવીને તમામને તપાસ શરૂ કરી છે. મહિલા અહીં છેલ્લા 20 વર્ષથી રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ એકલવાયુ જીવન જીવતા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાય છે. જોકે, પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. મહિલાના 30 વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. તેમના બંને સંતાનો મહિલાના પતિ સાથે રહેતા હતા. હાલમાં તેઓ વિદેશ છે. તેઓને આ અંગે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.