- રાજમહેલ રોડ પર આવેલા કુમેદાન ફળિયામાં એક અનોખી આસ્થા જોવા મળી રહી છે
- માલતી ધાડણકરના જણાવ્યા મુજબ, આ મૂર્તિ મહારાષ્ટ્રના અષ્ટ વિનાયક સ્વરૂપથી પ્રેરિત છે અને તેની ગોળાકાર સૂંઢ તેને આજના ગણપતિની સીધી સૂંઢથી અલગ પાડે છે
- આ પ્રાચીન 'બાલાજી ગણેશ'ને વર્ષોથી માત્ર બાલુશાહીનો જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે
હાલ શહેરમાં રંગેચંગે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે શહેરમાં વિવિધ મંડળો સહિત ભક્તો દ્વારા પોતાના ઘરોમાં શ્રીજીની યુનિક પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલાં કુમેદાન ફળિયામાં રહેતું ધાડણકર પરિવાર છેલ્લાં ૧૫૦ વર્ષથી શ્રીજીની એક ફુટની માટીની પ્રાચીન મૂર્તિ પ્રસ્થાપિત કરે છે. જે વિશે માલતી રત્નાકર ધાડણકરે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ૭ પેઢીથી ગણેશોત્સવમાં આ જ મૂર્તિ પ્રસ્થાપિત કરાય છે. મારા સસરાના પિતાના પૂર્વજો બાળપણથી આ મૂર્તિની પૂજા કરતાં હતા. આ મૂર્તિની વિશેષતા એ છે કે, આ મૂર્તિ માટીની બનેલી છે. અગાઉ તેના પર ઈકોફ્રેન્ડલી એટલે કે નેચરલ કલરથી રંગરોગાન કરાયું હતું. પરંતુ સમય જતાં તે ઝાંખા પડવા લાગ્યાં, તેથી અમે તેના પર ઓઈલ પેઈન્ટ કલર કરાવડાવ્યું હતું. જો કે, તેને પણ ૩૦ વર્ષનો સમય થઈ ગયો છે.

આ શ્રીજી મહારાષ્ટ્રના અષ્ટ વિનાયકની શ્રીજીની પ્રતિકૃતિથી પ્રેરિત છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં શ્રીજીની જે પણ મૂર્તિઓ બનાવાતી તેમાં અષ્ટ વિનાયક સ્વરુપ જ બતાવાતું હતું. જેમાં શ્રીજીની સૂંઢ ગોળાકાર હોય છે. જ્યારે આજના સમયના ગણપતિમાં શ્રીજીની સૂંઢ સીધી બનાવાય છે. આ મૂર્તિમાં શ્રીજીની પાઘડીની ડિઝાઈન પણ યુનિક છે. જે આજે જોવાં મળતી નથી. પહેલાં અમારે ત્યાં દર ગુરુવારે અમારા પરિવારજનો મળીને મૂર્તિની પૂજા કરતાં હતા. જેમને માત્ર બાલુશાહીનો જ પ્રસાદ ધરાવાતો હતો. આ શ્રીજીને બાલાજી નામ અપાયું હતું. જો કે, આજે પણ સમયાંતરે આરતી-પૂજા કરીએ છીએ.


