- ૨૫ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે યોજાશે, ૧૦ ફેબ્રુઆરી સુધી અરજીઓ સ્વીકારાશે
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ "સ્વાગત" ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા કક્ષાએ યોજાશે. આ કાર્યક્રમ સામાન્ય રીતે દર મહિનાના ચોથા બુધવારે યોજાતો હોય છે, પરંતુ આ વખતે ચોથા બુધવારે જાહેર રજા હોવાથી મંગળવાર, તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજાશે.
નાગરિકોએ તેમની સમસ્યાઓ અંગેની અરજીઓ લેખિતમાં તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રીટની કચેરીઓમાં રૂબરૂમાં રજૂ કરવાની રહેશે. અરજી પર "તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. નિયત તારીખ સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવનારી અરજીઓ માટે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી છે. ગ્રામ કક્ષાના પ્રશ્નો માટે અરજદારે પહેલા ગ્રામપંચાયત, તલાટી-કમ-મંત્રી કે ગ્રામસેવકને અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકા કક્ષાના પ્રશ્નો માટે તાલુકાના જવાબદાર અધિકારીને પહેલા લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.
કાર્યક્રમમાં માત્ર ગ્રામ અને તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો જ સ્વીકારવામાં આવશે. કોર્ટમેટર થયેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. દરેક અરજદાર માત્ર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી અને પેન્શન સિવાયના પ્રશ્નો જ સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સરળ અને ન્યાયિક રીતે નિરાકરણ લાવવાનો છે.


