વડોદરામાં ફરી કાંકરીચાળો! તરસાલીમાં ગણેશ પંડાલ પાસે પથ્થરો પડતા પોલીસ દોડતી થઇ!

ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા

MailVadodara.com - Stone-pelting-again-in-Vadodara-Police-rushed-to-the-spot-after-stones-were-thrown-near-the-Ganesh-Pandal-in-Tarsali

- દિવાળીપુરા સ્લમ ક્વાર્ટ્સમાં ગણપતિ પંડાલ પાસે પથ્થરમારો થયો હોવાનો કોલ મળતા DCP, ACP અને PI સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો, લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા

- ગણપતિ પંડાલમાં છપ્પનભોગ પૂરો થયા બાદ પથ્થરો પડ્યા હતા, પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું, કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા સ્લમ ક્વાર્ટ્સમાં ગણપતિ પંડાલ પાસે પથ્થરમારો થયો હોવાનો કોલ મળતા DCP, ACP અને PI સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું.


સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ગણપતિ પંડાલમાં છપ્પનભોગ રાખવામાં આવ્યો હતો. છપ્પનભોગ પૂરો થયા બાદ પંડાલ પાસેની એક્ટિવા પર પથ્થરો પડ્યા હતા. જેથી સ્થાનિકો તે તરફ દોડી ગયા હતા, જ્યાં બીજા પણ પથ્થરો પડ્યા હતા. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.

સ્થાનિક કોર્પોરેટર અલ્પેશ લીંબચીયાએ જણાવ્યું હતું કે, તરસાલી વિસ્તારમાં દીવાળીપુરા સ્લમ ક્વાટ્સમાં છપ્પનભોગનો કાર્યક્રમ હતો. ગણેશજીની આરતી પછી અસામાજિક તત્વોએ છથી આઠ પથ્થર મારીને વિસ્તારની શાંતિ ડહોળવાનું કામ કર્યું છે. મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે, વડોદરા શહેરમાં આ બીજી વાર આ કૃત્ય કરવામાં આવ્યું છે. 5 દિવસ પહેલા જ્યારે ગણેશ આગમન હતું ત્યારે પણ એના પર ઇંડા ફેંકીને વડોદરા શહેરની શાંતિ ડહોળવાનું કામ કર્યું હતું. એ જ રીતે તરસાલીમાં પણ આ જ કામ કર્યું છે.


DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, તરસાલીમાં આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે, તેની પાછળની સાઈડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા હતા કે, એમને ગણપતિ પંડાલની બાજુમાં કંઈક પડ્યું હોય એવો અવાજ આવ્યો, જેથી અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છીએ. એલસીબી અને ડી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છીએ કે, શું ફેંકવામાં આવ્યું હોઈ શકે છે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે છે, એ બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે.


અમે બધા ટેરેસ પરથી ચેક કરાવ્યું છે એવી કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. સીસીટીવી પણ ચેક કરી રહ્યા છીએ. મૂર્તિની જે ત્રણે બાજુમાં જે મંડપ જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબો શેડ છે. એના કારણે એને પણ કંઈ ડેમેજ નથી થયું અને બાજુમાં મુકેલા એક્ટિવા પર કંઈ પડવા જેવો અવાજ એમને આવ્યો હતો. એટલા માટે એમને પોલીસનું ધ્યાન દોર્યું છે. એક યુવકને પાછળથી કંઈક પથ્થર જેવું લાગ્યું છે? તપાસ કરી રહ્યા છીએ, એવું હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું. પૂછપરછ કરીએ છીએ. આયોજકો સાથે પણ અમે વાત કરી છે અને ભોગ ચઢાવવાના હતા તે વખતે જેટલા લોકો અહીંયા હાજર હતા તમામની પૂછપરછ કરીશું. જો કોઈને વાગ્યું હોય તો એ બાબતે આપણે આગળ તપાસ કરીશું.

Share :

Leave a Comments