- ફાયર બ્રિગેડે શાળાના પટાંગણમાં આવેલા વોટર હાર્વેસ્ટિંગના કુવામાંથી મૃતદેહને કાઢ્યો
- મૃતક નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં રહેતા 55 વર્ષીય પ્રદીપ દયાળભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું, મૃતક ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયા હતા

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શાળાના પટાંગણમાં આવેલા વોટર હાર્વેસ્ટિંગના કુવામાંથી મૃતદેહને ફાયર વિભાગની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં મૃતદેહ નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં રહેતા પ્રદીપ દયાળભાઈ પરમાર (ઉંમર વર્ષ 55) હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેઓ ગત 6 ફેબ્રુઆરીના રોજ ઘરેથી બહાર ગયા બાદ પરત ન ફરતા આખરે પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
જો કે આજે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ ઘટના સામે આવતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને કોલ મળતા ઘટના સ્થળે દોડી આવી હતી. આ વિસ્તાર સતત વ્યસ્ત રહેતો હોવા છતાં આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભારે કુતૂહલ ફેલાવી દીધી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક કરેલીબાગ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.


પોલીસ સાથે ફાયર વિભાગના કર્મચારીઓની મદદથી અજાણ્યા પુરુષના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મૃતદેહની ઓળખ હજુ થઈ નથી. આ યુવક કયા કારણોસર ત્યાં ગયો હતો, મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના આકસ્મિક છે કે ગુનાહિત કૃત્ય છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે બદમડીબાગ ફાયર બ્રિગેડના કર્મચારી વિશાલ શિંદેએ જણવ્યું હતું કે, નવી ધરતી ગોલવાડની અંદર જીવન ભારતી સ્કૂલના ગ્રાઉન્ડમાં એક કૂવો આવેલો છે. એમાં લાશ પડેલી એનો કોલ મળેલો હતો. અમે આવીને, મારા સ્ટાફે BA સેટ પહેરીને બોડીને કૂવામાંથી બહાર કાઢી લીધી છે. આ અજાણ્યો વ્યક્તિ છે, અમને ખબર નથી કોણ છે.


