- હિતેશભાઈ નવાપુરા વિસ્તારમાં રહેતા હતા અને સલૂન ચલાવતા હતા, તેઓ પોતાની વાન લઈને આવ્યા અને તળાવમાં ઝંપલાવ્યું હતું, તળાવ પાસેથી વાન અને ચંપલ મળ્યા
વડોદરા શહેરના દંતેશ્વર તળાવમાં કૂદીને સલૂન સંચાલકે જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે 55 વર્ષીય હિતેશ ભાટિયાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે તળાવમાં મૃતદેહને તરતો જોઈને આસપાસના લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
હિતેશભાઈ નવાપુરા વિસ્તારમાં રહેતા હતા અને સલૂન ચલાવતા હતા. તેઓ પોતાની વાન લઈને આવ્યા અને તળાવમાં ઝંપલાવ્યું હતું. તળાવ પાસેથી પોલીસને વાન અને ચપ્પલ મળી આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દંતેશ્વર તળાવ પાસે એકઠા થઈ ગયા હતા. મૃતક હિતેશભાઈ ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલી 'વિરાજ સલૂન'ના સંચાલક હતા. પ્રાથમિક તપાસમાં હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદનના આધારે આગળ તપાસ કરાશે.


