- પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવર-જવર કરતાં વાહનચાલકો માટે તા.1 મે 2025 થી તા.30 ઓક્ટોબર 2025 સુધી અથવા કામગીરી પૂર્ણ થતાં સુધી ડાઇવર્ઝન આપવામાં આવ્યું
બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આવતીકાલથી આગામી છ મહિના માટે વડોદરા શહેરનું પ્રિયલક્ષ્મી ગરનાળું બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડ્યું છે અને વૈકલ્પિક અને પ્રતિબંધિત રસ્તાઓ પણ જાહેર કર્યા છે.
L&T દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતાં વચ્ચે આવેલ રેલવે અંડર બ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા)ની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોવાથી રેલવે અંડરબ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા)માંથી અવર-જવર કરતાં વાહનોને તા.01/05/2025થી તા.31/10/2025 સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવા પ્રોજેકટ મેનેજર દ્વારા જણાવ્યું છે.
આ કામગીરી દરમિયાન વડોદરાના શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તા.01/05/2025થી તા.31/10/2025 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મીલ રેલ્વે અંડર બ્રિજ થઇ, અટલ બ્રિજ તરફ, અટલ બ્રિજથી પંડયા બ્રિજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઇ, સ્ટેશન તરફ જતાં વાહનો પ્રતિબંધ ફરમાવા આવ્યો છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઇ પોલીટેકનીક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઇ, પંડ્યા બ્રિજ ઉપર થઇ,અટલ બ્રિજ થઇ જે તરફ જઇ શકાશે, અટલ બ્રિજથી પંડયા બ્રિજ થઇ તેમજ અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઇ, રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે