ચોમાસા પૂર્વે ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજાની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ

વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરની કામગીરી દોઢ માસથી ચાલુ હતી

MailVadodara.com - Maintenance-work-of-62-gates-of-historic-Ajwa-Lake-completed-before-monsoon

- આજવા સરોવર ઓવરફ્લો થાય ત્યારે તેનું પાણી 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડાય છે

વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં ઐતિહાસિક આજવા સરોવરના ચોમાસા પૂર્વે કરવામાં આવતી 62 દરવાજાની મેઇન્ટેનન્સની કામગીરી આજે પૂર્ણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, આજવા સરોવર ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી આ 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે.


આજવા સરોવરના પાણી માટે દરવાજાનું લેવલ સેટ કરવામાં આવે છે, પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલી વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઇટ પાઉડર પણ ઘસવામાં આવે છે. આ કામગીરી કર્મચારીઓ મેન્યુઅલી કરે છે. આની સાથે સાથે આજવાના ઉપરવાસ પ્રતાપપુરાના ગેટ, ઉજેટી અને જોડિયાના ગેટનું પણ મેન્ટેનન્સ કાર્ય દર વર્ષની માફક કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 62 દરવાજાની ટેક્નોલોજી ગાયકવાડી શાસન વખતની છે.


તંત્ર દ્વારા 62 દરવાજાના ગોળા બહાર કાઢવા, લેવલીંગ કરવું, દરવાજા સેટીંગ કરવા, કલર કામ કરવું, ગ્રેફાઇટ પાવડરનું કોટિંગ કરવું વગેરે કાર્ય મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કરવામાં આવે છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ અધિકારીઓ સાથે આજવા સરોવર અને 62 દરવાજાની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.

Share :

Leave a Comments