- જેટકોના સૂત્રોના કહેવા પ્રમાણે શહેરના સલાટવાડા, ફતેગંજ, અટલ ગાર્ડન (અટલાદરા), બિલ અને ભાયલી વિસ્તારમાં નવા સબ સ્ટેશન બની રહ્યા છે
વડોદરાના લોકોને વધારે સારી રીતે વીજ પુરવઠો મળી રહે તે માટે બે દિવસ પહેલા જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) દ્વારા સયાજીપુરામાં નવા બનાવાયેલા ૬૬ કેવીના સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આવા બીજા પાંચ નવા સબ સ્ટેશન પણ હવે પૂર્ણતાના આરે છે. આ તમામ સબ સ્ટેશન આગામી માર્ચ મહિના પહેલા કાર્યરત થઈ જશે. જેટકોના સૂત્રોના કહેવા પ્રમાણે શહેરના સલાટવાડા, ફતેગંજ, અટલ ગાર્ડન( અટલાદરા), બિલ અને ભાયલી વિસ્તારમાં નવા સબ સ્ટેશન બની રહ્યા છે. દરેક સબ સ્ટેશન પાછળ ૭૦ થી ૮૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.આ સબ સ્ટેશનનું લોકાર્પણ પણ માર્ચ મહિના પહેલા થઈ જશે.તેની સાથે સાથે હરણી વિસ્તારમાં નવુ સબ સ્ટેશન બનાવવા માટે જમીન મેળવવાની કવાયત ચાલી રહી છે.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝનો દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે. આ સપ્લાય જેટકોના સબ સ્ટેશનોમાં થઈને આવે છે. નવા સબ સ્ટેશનો બનવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાની સમસ્યા ઓછી થશે. દરેક નવા સબ સ્ટેશનના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના ત્રણથી ચાર સબ ડિવિઝનને ફાયદો થશે.વીજ કંપની ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા નવા ૨૫ જેટલા ફીડરો નાંખી શકશે.


