- ખોડીયારનગર વીજ કચેરીમાં કોઈ ફોન નહિ ઉપાડતું હોવાના આક્ષેપ
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી નર નારાયણ સોસાયટીના વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટ થયો હતો જે બાદ અચાનક આગ લાગતા પોલ પરથી આગના તણખલા ઝર્યા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે ગરમીના કારણે આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે શહેરના હરણી રોડ ઉપર આવેલી નર નારાયણ સોસાયટીના વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટ થયું હતું. જે બાદ અચાનક વાયરોમાં આગ લાગી હતી. જેના કારણે આગના તણખલા ઝર્યા હતા આ ઘટનાને લઇ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.

સ્થાનિકોના આક્ષેપ મુજબ બનાવ અંગે ખોડીયાર નગર એમજીવીસીએલની પેટા કચેરી ખાતે વિસ્તારના રહીશો દ્વારા ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે કચેરીમાંથી કોઈએ પણ ફોન રિસીવ કરવાની તસ્દી પણ લીધી ન હતી. જેના કારણે લાઈટો ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા.


