- ભરતી મેળામાં ધો-10 પાસ, ધો-12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ (બી.કોમ., બી.એ., બી.બી.એ.) લાયકાત ધરાવતા પુરુષ-મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે
વડોદરાના બેરોજગાર યુવાનો માટે રોજગારીની મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ થઈ છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર વડોદરા દ્વારા આગામી 18 જૂન, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી 150થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના સીધા ઇન્ટરવ્યૂ લેશે.
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર વડોદરા દ્વારા તા. 18/06/2026ના રોજ સવારે 10 કલાકે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પ્રથમ માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતી મેળામાં સેલ્સ એક્ઝિક્યુટિવ, કેશિયર, હેલ્પર, ટેલર, ક્યુસી એન્જિનિયર, ફેબ્રિકેશન, ટર્નર ઓપરેટર, ફિટર, વેલ્ડર, કસ્ટમર સર્વિસ એસોસિયેટ, ગ્રુપ ક્રેડિટ ઓફિસર, ટ્રેઇની, સર્વિસ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, મિગ વેલ્ડર સહિતની 150થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ, ઇન્શ્યોરન્સ અને બીપીઓ ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. આ ભરતી મેળામાં ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ (બી.કોમ., બી.એ., બી.બી.એ.) લાયકાત ધરાવતા 18થી 35 વર્ષની વયના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે.
રોજગારીની તકો ઉપરાંત ઉમેદવારોને વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY), પીએમ ઇન્ટર્નશિપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની મફત નિવાસી તાલીમ યોજના, વિવિધ વ્યાવસાયિક તાલીમ યોજનાઓ તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવશે. આ પ્રસંગે સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી માટે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ પાંચ બાયોડેટા/રેઝ્યૂમે સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. ભરતી મેળામાં ભાગ લેવા અથવા પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવશે નહીં, તેવી માહિતી રોજગાર અધિકારી દ્વારા આપવામાં આવી છે.


