વડોદરા શહેરના અણખોલ વિસ્તારમાં કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 33 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. ખાનગી બિલ્ડિંગ પર કલરકામ કરી રહેલો શ્રમિક ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
![]()
વડોદરાના અણખોલ વિસ્તારમાં આવેલી એક ખાનગી બિલ્ડિંગ પર કલરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કામ કરી રહેલા શ્રમિક જ્ઞાનેન્દ્રસિંહ લાલબહાદુર સિંહ અચાનક સંતુલન ગુમાવી ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતક જ્ઞાનેન્દ્રસિંહ મૂળ મધ્યપ્રદેશના ગુરાહ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. શ્રમિકની સુરક્ષાને લગતા તમામ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.


