- બાળકની નાજુક સ્થિતિ જોઈ તેને જન્મના 11 કલાકમાં જ ગોધરાથી વડોદરા રિફર કરાયું હતું
- શિશુની અન્નનળી-શ્વાસનળી અલગ કરવાની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતા સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી કલ્પનાબેનના 2.600 કિલો વજન ધરાવતા નવજાત શિશુને જન્મજાત ગંભીર ખામી હોવા છતાં જટિલ સર્જરી દ્વારા નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.

બાળકના જન્મ બાદ તુરંત જ માલૂમ પડ્યું હતું કે તે 'ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા' નામની ગંભીર બીમારીથી પીડાય છે. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોય છે. આ ખામીને કારણે બાળક જે દૂધ પીએ તે સીધું ફેફસામાં જવાની દહેશત રહે છે, જે નવજાત માટે જીવલેણ બની શકે છે. બાળકની નાજુક સ્થિતિ જોઈ તેને જન્મના માત્ર 11 કલાકમાં જ ગોધરાથી વડોદરા રિફર કરાયું હતું.
હોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે નિષ્ણાત સર્જરી ટીમ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો. ઓછું વજન અને ઇન્ફેક્શનના જોખમ વચ્ચે આ પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 10 દિવસ સુધી બાળકને મિકેનિકલ વેન્ટિલેટર પર રાખી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. 'ડાઈ સ્ટડી' દ્વારા ખાતરી કર્યા બાદ જ બાળકને રજા આપવામાં આવી હતી.
ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો દૈનિક ખર્ચ 20 થી 25 હજાર રૂપિયા ઉપરાંત સર્જરીનો લાખોનો ખર્ચ થતો હોય છે. જોકે, એસ.એસ.જી. હોસ્પિટલમાં 24 દિવસની સઘન સારવાર અને ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. બાળરોગ વિભાગના વડા ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ રિંકી શાહ, વૈશાલી ચનપુરા, કશ્યપ પંડ્યા સહિતની ટીમે આ સફળતા હાંસલ કરી છે. પિતા કલ્પેશભાઈએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.


