- બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગમાં કરવામાં આવેલા તોતિંગ ફી વધારા અને પ્રવેશ બેઠકોમાં કરાયેલા ઘટાડા સામે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના BCA વિભાગમાં કરવામાં આવેલા તોતિંગ ફી વધારા અને પ્રવેશ બેઠકોમાં કરાયેલા ઘટાડા સામે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિભાગમાં બેઠકો ઘટાડવામાં આવી હતી જેને લઈ ભારે વિરોધ જોવા મળ્યો હતો. આજે મેનેજમેન્ટે આ વિભાગમાં બેઠકો યથાવત રાખવાનો નિર્ણય લેતા હવે વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે.
સાયન્સ ફેકલ્ટીના BCA (બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) વિભાગમાં અગાઉ 240 બેઠકો હતી, જે ઘટાડીને 120 કરવામાં આવી હતી. આ સાથે ફી વધારો પણ કરવામાં આવ્યો હતો. જેનો વિદ્યાર્થી સંગઠન NSUI અને ABVP દ્વારા ભારે વિરોધ વચ્ચે મેનેજમેન્ટે આખરે બેઠકોમાં કરાયેલ ઘટાડાને પગલે નિર્ણય લઈ 240 બેઠકો ભરવામાં આવશે તે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે ફી વધારા માટે અમે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. વિપુલ કલમકર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી પાસે ઇન્ફાસ્ટ્રકચર મુજબ 80થી 120 બેઠકોની વ્યવસ્થા છે. જો કે આ બાબતે અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા તેઓએ બાહેંધરી આપી છે કે વધારે બેઠકો પ્રમાણે વ્યવસ્થા કરી આપવામાં આવશે. બીજી તરફ ફી વધારાને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી પાસે ચાર કોમ્પ્યુટર લેબોરેટરી છે પણ હવે બીસીએ કોર્સ ત્રણની જગ્યાએ ચાર વર્ષનો થઈ ગયો છે. ઉપરાંત 240 વિદ્યાર્થીઓ માટે ચાર લેબોરેટરી પૂરતી નથી એટલે આગામી બે મહિનામાં 80-80 કોમ્પ્યુટરો સાથેની બે નવી લેબોરેટરી બનાવવામાં આવશે. આ લેબોરેટરી પાછળ લગભગ એક કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે. યુનિવર્સિટી સત્તાધીશોને લેબોરેટરી માટે કોમ્પ્યુટર ખરીદી સહિતની બીજી મંજૂરી વહેલી તકે આપવા માટે અમે વિનંતી કરી છે.આ વખતે પણ અત્યાર સુધીમાં 700 જેટલા ફોર્મ ભરાઈ ચૂકયા છે.ફોર્મ ભરવા માટે હજી એક સપ્તાહનો સમય છે ત્યારે 240 બેઠકો ભરવામાં પણ કોઈ મુશ્કેલી પડે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, સાયન્સ ફેકલ્ટીમાં BCA વિભાગમાં હવે બેઠકોમાં થયેલા ફેરફાર ને લઈ વધુ વિધાર્થીઓને પ્રવેશ મળશે ત્યારે આ માટે આગામી 23 મે ના રોજ એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવશે જે આ જગ્યાઓ મુજબ લેવાશે.


