વડોદરા મનપાની ચૂંટણીની આવતીકાલે મત ગણતરી, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આવતીકાલે 27મી એપ્રિલે સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે

MailVadodara.com - Counting-of-votes-for-Vadodara-Municipal-Corporation-elections-tomorrow-tight-security-arrangements-made-for-strong-room-security

- પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM સીલ, મેડિકલની 4 ટીમ, ફાયર વિભાગની 3 ફાયરની ગાડીઓ, 2 એમ્બ્યુલન્સ તૈનાત, 900 કર્મી મત ગણતરી કરશે

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને ધ્યાનમાં રાખીને સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા શહેરની પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં EVM તેમજ મતદાન સંબંધિત અન્ય તમામ સામગ્રીને કડક સુરક્ષા વચ્ચે સીલ કરી રાખવામાં આવી છે.


સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થળ પર પૂરતા પ્રમાણમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને આવનજાવન પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેડિકલની 4 ટીમો, ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર ગાડીઓ અને 2 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.


વિજ પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તે માટે MGVCLના 36 કર્મચારીઓ પણ ડ્યૂટી પર રહેશે. આ ઉપરાંત, સમગ્ર મતગણતરી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે 900થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાને કારણે આવતીકાલે મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


મતગણતરી કેન્દ્ર-પોલીટેકનીક ખાતે ફરજ બજાવનાર તમામ અધિકારી/કર્મચારી તેમજ ઉમેદવાર/એજન્ટ/એજન્સીઓ માટે જરૂરી સુચનાઓ

  • કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનીક ગેઝેટ્સ જેવા કે લેપટોપ, મોબાઇલ, સ્માર્ટ વોચ વિગેરે સાથે લાવવા નહીં, જો સાથે લાવવામાં આવશે તો મતગણતરી કેન્દ્રમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • જો ઇલેક્ટ્રોનીક ગેઝેટ્સ આપને આવશ્યક હોય તો મતગણતરી કેન્દ્ર ખાતે ઉભા કરવામાં આવેલ મોબાઇલ વોલેટ કાઉન્ટર ઉપર આપની જવાબદારીએ જમા કરાવવાના રહેશે તેમજ પરત મેળવી લેવાના રહેશે.
  • દરેક અધિકારી/કર્મચારી/ઉમેદવાર/ એજન્ટ/એજન્સીઓના તમામ સ્ટાફને મતગણતરી માટે કલર કોડ સાથેના ઈશ્યુ કરવામાં આવેલ આઈ કાર્ડ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • દરેક અધિકારી/કર્મચારી/ઉમેદવાર/ એજન્ટ/એજન્સીઓના તમામ સ્ટાફે આપવામાં આવેલ આઈ કાર્ડ ઉપરાંત પોતાની સંસ્થાનું આઈ કાર્ડ તેમજ સોંપવામાં આવેલ ફરજનો આદેશ (ઓર્ડર) સાથે અચૂક રાખવો.
  • ખાસ મહિલા અધિકારી/કર્મચારી/ઉમેદવા૨/એજન્ટ/એજન્સીઓના તમામ સ્ટાફે બેગ/નાસ્તાના ડબ્બા, પર્સ વિગેરે વસ્તુઓ સાથે લાવવી નહીં અને જો સાથે લાવવામાં આવશે તો મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • મતગણતરી કેન્દ્રમાં ઉચ્ચ સરકારી અધિકારીશ્રીઓ સિવાય કોઈપણ અધિકારીશ્રી/કર્મચારીશ્રીના વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • ઉમેદવાર/એજન્ટને ખાસ સુચના કે જે વોર્ડની મતગણતરી ચાલતી હશે તે જ વોર્ડના ઉમેદવાર/એજન્ટને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે અને બાકીના ઉમેદવાર/એજન્ટ ફાળવવામાં આવેલ બેઠક વ્યવસ્થામાં બેસવાનું રહેશે.
  • દરેક વોર્ડવાઈઝ મતગણતરી પૂર્ણ થયેથી જે વોર્ડની મતગણતરી શરૂ થશે તે વોર્ડ મુજબ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને તે જ વોર્ડના ઉમેદવાર/એજન્ટને જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે.
  • ચૂંટણી અધિકારી વાઈઝ ઉમેદવાર/એજન્ટના આઈ કાર્ડ તેમજ મતગણતરી સ્ટાફના આઈ કાર્ડ ને કલર કોડ આપવામાં આવેલ છે અને તે કલર કોડ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
  • ઉપરોક્ત સુચનાઓનું જો પાલન કરવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે, અને તે આપની ફરજમાં નિષ્કાળજી ગણવામાં આવશે જેની જવાબદારી આપની રહેશે તેમજ સદર બાબતે પોલીસ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કરવાનું રહેશે નહીં.
  • મતગણતરી ફરજ પરના કર્મચારી, ઉમેદવારો, એજન્ટ,પોલીસ, મીડિયા માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી આપનું વાહન આપને લાગુ પડતી જગ્યાએ જ કરવાનું રહેશે.

Share :

Leave a Comments