- તંત્ર દ્વારા કાળજી ન રખાતાં માંડવી સહિત ચાંપાનેર, ગેડીગેટ, પાણીગેટ અને લહેરીપુરા દરવાજો જર્જરીત છે, ત્યારે હાલ ઐતિહાસિક માંડવીનું હાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે
શહેરમાં જર્જરીત થઇ ગયેલા માંડવી સહિત ઐતિહાસિક ઇમારતોનો જિર્ણોદ્ધાર કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પુનઃ એકવાર પ્રયાસો કરવાના ભાગરૂપે કવાયત હાથ ધરી છે. મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં હેરીટેજ ઇમારતોની જાળવણી માટે અલાયદુ હેરીટેજ સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવીનું હાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. માંડવી દરવાજાના પીલરોનું પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. પરિણામે શહેરીજનો સહિત પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બુદ્ધિજીવી વર્ગ દ્વારા ચિંતા કરવામાં આવી રહી છે. વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી 28 દિવસથી ઉઘાડા પગે ઉભા રહી ઇમારતને બચાવવા આંદોલન કરી રહ્યા છે. એતો ઠીક ગાયકવાડ પરિવાર મહારાણી રાધિકારાજેએ પણ માંડવી બચાવવા માટે ચિંતા વ્યક્ત કરી છે. આ ઇમારતને બચાવવા રાજકીય પક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા સમયાંતરે કાળજી રાખવામાં ન આવતાં માંડવી સહિત ચાંપાનેર, ગેડીગેટ, પાણીગેટ અને લહેરીપુરા દરવાજો પણ જર્જરીત થઇ ગયો છે. ત્યારે આ ઐતિહાસિક ઇમારતો સહિત શહેરમાં આવેલી વિવિધ ઐતિહાસિક ઇમારતોને બચાવવા માટે આજે મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
આ મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સાંસદ ડો. હેમાંગ જોષી, વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, એએસઆઇના પ્રતિનિધી, હેરીટેજ ટ્રસ્ટના પ્રતિનિધિ, રાજમહેલના પ્રતિનિધિ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જણાવ્યું હતું કે, આજે વડોદરાની હેરીટેજ બિલ્ડીંગોની જાળવણી કેવી રીતે કરી શકાય તે માટે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જર્જરીત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા. માંડવી ઇમારતનુ કામ આગામી ટૂંક સમયમાં શરુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનુ એ છે કે, વડોદરાની આગવી ઓળખ ઉભી પુનઃ ઉભી કરવામાં આવશે. આ કામગીરી માટે હેરીટેજ સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે મળેલી બેઠકમાં ઇમારતોની ટૂંકા અને લાંબા ગાળામાં કેવી રીતે જાળવણી થઇ શકે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને માંડવી ઇમારતનુ કામ વહેલીતકે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરની ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે હેરીટેજ સેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ સેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેઠળ કામ કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું.