વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવાની માગણી સાથે કોંગ્રેસે આજે કમિશનરને રજૂઆત કરી હતી. લારી-ગલ્લાવાળાઓને અન્યાય ન કરી તેઓને રોજગાર અને ધંધો કરવા દેવા અનુરોધ કર્યો હતો. કોર્પોરેશનમાં આજે સવારે સૂત્રોચાર સાથે મોરચો કાઢવામાં આવ્યો હતો અને દબાણના નામે કરાતી હેરાનગતિ બંધ કરવા માંગ કરી હતી.

વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું તે વર્ષ 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી લાવવામાં આવી હતી. જો કોર્પોરેશન તેનો અમલ કરે તો કોર્પોરેશનને તેની આવક પણ થશે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે લારી-ગલ્લાવાળાને રોજગાર મળવો જોઈએ. શહેરમાં તમામ 19 વોર્ડમાં જે પ્લોટ શોધી કાઢવામાં આવ્યા છે તેનો સર્વે અને અભ્યાસ કરવામાં આવશે. વર્ષ 2017 માં શહેરમાં લારી-ગલ્લાવાળાનો સર્વે કરાયો હતો, એ પછી અત્યારે ખરેખર સાચો નંબર કેટલો છે, એ જાણવા માટે પણ સર્વે કરાશે. રોડ ઉપર ઉભા રહીને તેઓ દબાણ ન કરે તે ધ્યાનમાં રાખીને તેઓને નજીકના પ્લોટમાં ખસેડવામાં આવશે. શહેરમાં ચારે ઝોનમાં શાકમાર્કેટ બનાવશે. કોંગ્રેસની જે માગણી છે સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવા પર વિચાર થઈ રહ્યો છે. ખાણીપીણીના ધંધાર્થીઓ વ્યવસ્થિત ગોઠવાય તેનું પ્લાનિંગ કરવામાં આવશે. પે એન્ડ પાર્કિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેથી કરીને ફૂટપાથ અને રોડ પર દબાણ ન થાય. તેઓને હેરાનગતિ કરવાની જે રજૂઆત છે તે મુદ્દે સમિતિ સમીક્ષા કરશે.


