કેનેડામાં રહેતા યુવાન સાથે લગ્ન કરી દાગીના અને રોકડ પડાવનાર પરિણીત યુવતી સામે ફરિયાદ

મૂળ વડોદરાના યુવક અને તેના પરિવારને અંધારામાં રાખી પરિણીત યુવતીએ રજિસ્ટર લગ્ન કર્યા હતા

MailVadodara.com - Complaint-filed-against-married-woman-who-married-a-young-man-living-in-Canada-and-stole-jewelry-and-cash

- યુવકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નીલુ અને મોહિતે મેં 2015માં ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લામાં લગ્ન કરી લીધા છે તેમજ 2021માં તેનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

- યુવતી સામે 6.50 લાખ ઉપરાંતની ઠગાઇ કર્યાની ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

કેનેડામાં નોકરી કરતા યુવાન અને તેના પરિવારને અંધારામાં રાખી પરિણીત યુવતીએ રજિસ્ટર લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પરત ન ફરનાર અને કરિયાવરમાં મળેલ રૂપિયા 5 લાખના દાગીના અને યુવાન પાસે લીધેલ રોકડ મળી રૂપિયા 6.50 લાખ પરત ન કરનાર પરિણીત યુવતી સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીક ઊંડેરા ખાતે પેટ્રો કેમિકલ ટાઉનશીપમાં રહેતા ઉમેશ ભોળાભાઈ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. તેમણે કેનેડામાં નોકરી કરતા પુત્ર મુકેશ સાથે છેતરપિંડી કરી લગ્ન કરનાર નીલુ અશોક યાદવ (રહે. કાસારીયા પાલાવા, ડોમ્બીવલી, મુંબઈ) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા વતન ઉત્તર પ્રદેશમાં રહેતા જ્ઞાતિના અશોક યાદવે મને ફોન કરી જણાવેલ કે તમારો પુત્ર કેનેડામાં છે અને ત્યાં સારી નોકરી કરે છે. મારી પુત્રી નીલુ પણ ભણેલી છે BE સુધી અભ્યાસ કર્યો છે તેમ કહી લગ્ન કરવાની વાત કરી હતી. બંને પરિવારે ફોટો સાથે બાયોડેટાની આપ-લે કરી હતી. બાદમાં નીલુના માતા-પિતાને મુકેશ પસંદ આવતા તેઓ વડોદરા મળવા માટે આવ્યા હતા. એમને જણાવ્યું કે, નીલુ મુંબઈ રહે છે અને તમારો પુત્ર કેનેડા રહે છે. જેથી, વીડિયો કોલથી એકબીજાની સાથે વાત કરાવતા બંને એકબીજાને પસંદ આવ્યા હતા અને લગ્નની હા પાડી હતી.

આ દરમિયાન મે 2021માં મુકેશ કેનેડાથી વડોદરા આવ્યો હતો અને નીલુ સાથે ડભોઇ વાઘનાથ મહાદેવ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. જે અંગે ડભોઇ નગરપાલિકામાં લગ્નની નોંધણી કરાવી હતી. જે-તે સમયે કોરોના લોકડાઉન હોવાથી મુકેશ વડોદરા રોકાયો હતો. નીલુ 10-12 દિવસ વડોદરા રહ્યા બાદ તેની નોકરીના કારણે તે મુંબઈ જતી રહી હતી. નીલુ એકલી જ લગ્ન કરવા માટે આવી હતી. ઓગસ્ટ 2021માં નીલુ વડોદરા આવી હતી. તે સમયે નીલુએ મોહિત યાદવ નામના યુવાન સાથે લગ્ન કર્યા હોવાની મુકેશને જાણ થતાં તે ચોંકી ઉઠ્યો હતો. મુકેશે જે નંબર પરથી ફોન આવેલ તે નંબર પર ફોન કરી જણાવેલ કે તું કોણ છે ? તો સામેથી મોહિત યાદવ નામ જણાવ્યું હતું. મુકેશે કહ્યું કે, નીલુ મારી પત્ની છે કેમ ફોન કરે છે? તો સામેથી મોહિતે કહ્યું આ મારી પત્ની છે.

આ દરમિયાન મુકેશે પોતાના વતનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નીલુ અને મોહિતે મેં 2015માં ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લામાં લગ્ન કરી લીધા છે તેમજ 2021માં તેનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ અંગે મુકેશના પિતા ઉમેશભાઇ યાદવે પુત્રની જિંદગી બગાડનાર નિલુ અશોકકુમાર યાદવ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, નીલુને લગ્ન સમયે આપેલા રૂપિયા 5,29,800ની કિંમતના સોનાના દાગીના અને લગ્ન નક્કી થયાં તે સમયે આપેલા રૂપિયા 1.50 લાખ મળી રૂપિયા 6.50 લાખ ઉપરાંતની ઠગાઇ કરી છે. ડભોઇ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments