- મોટાભાગના ખાડા પૂરાયા, 4 ઝોનમાં શાકમાર્કેટ સહિત વિકાસકામોની કામગીરી આગળ વધારાશે
- નમો આરોગ્ય વન તેમજ નમો અર્બન મોલ અને 50 નવી આંગણવાડી બનાવવા માટેનું આયોજન
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે હાલમાં ચાલી રહેલા કામોની સમીક્ષા તેમજ આગામી દિવસોમાં કરવાના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં સ્વચ્છતા અંગે કોઈ પણ બાંધછોડ નહીં ચલાવી લેવાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી.
ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં મસમોટા ખાડા જોવા મળ્યા હતા. આ ખાડાઓના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે પાલિકા દ્વારા આ ખાડાઓ પપુરવાની કામગીરી શરુ કરી હતી. આજે આ અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મોટા ભાગના વિસ્તારમાં ખાડાઓ પુરી દેવામાં આવ્યા છે. અને માનવદિન હેઠળ જે કામ કરવામાં આવ્યા હતા તે પૂર્ણ થયા છે. હવે રેગ્યુલર કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરમાં ચાર ઝોનમાં શાકમાર્કેટનું કામ પણ પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત શહેરના દરેક વોર્ડમાં એક એક શાકમાર્કેટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોમાં દબાણો વધ્યા છે. ફૂટપાથ ઉપર પણ કેટલાક દબાણો ઉભા થઇ ગયા છે જેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ફૂટપાથ ઉપર જે દબાણ ઉભા કરાયા છે તેને ત્વરિત હટાવવા સૂચના આપવામાં આવી છે. ફૂટપાથ એ લોકોના ચાલવા માટે હોય છે જેથી તેને ત્વરિત ખાલી કરાવવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ભારત સરકારમાંથી નમો આરોગ્ય વન અને નમો અર્બન મોલ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકામાં શહેરમાં 50 નવી આંગણવાડી બનાવવા માટેનું આયોજન છે. જેમાં 8 આંગણવાડીનું બાંધકામ ચાલી રહ્યું છે. 23નું ટેન્ડર આવી ગયું છે અને બાકીના કામ આયોજન હેઠળ છે. મહાનગરપાલિકામાં ડ્રેનેજ તેમજ અન્ય કામગીરીમાં મશીનરીનો અભાવ હતો તે પણ ખરીદવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાર્ડન તેમજ હેરિટેજ વિભાગમાં સિવિલ કામ પણ આગળ વધશે. ચાર ઝોનમાં અલગ અલગ વિહિકલ પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામ અંગે પણ આજની રીવ્યુ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે.


