- કારચાલકે ટક્કર મારતા 71 વર્ષના છીતુભાઇ બારીયાને માથાના પાછળના ભાગે અને બંને હાથે કોણીના ભાગે ગંભીર ઇજા થઇ હતી
માણેજા વિસ્તારમાં ગઇકાલે સાંજે સાયકલ સવાર વૃદ્ધને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણેજા પંચશીલનગરમાં રહેતા ૭૧ વર્ષના છીતુભાઇ સુખાભાઇ બારીયા મકરપુરા જી.આઇ.ડી.સી.માં છૂટક મજૂરી કરતા હતા. તેમનો પુત્ર અશ્વિનકુમાર શિનોર એમ.જી.વી.સી.એલ.ના સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. છીતુભાઇ ગઇકાલે સાંજે સાયકલ લઇને માણેજા રોડ પરથી જઇ રહ્યા હતા. તે દરમિયાન એક કારચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથાના પાછળના ભાગે, બંને હાથેકોણીના ભાગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. મકરપુરા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે અકસ્માત કરીને ભાગી ગયેલા કાર ચાલકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત કરીને ભાગી ગયેલા કારચાલકનો ફોટો એક રાહદરીએ પાડી લીધો હતો. જેના આધારે પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી છે.


