વાઘોડિયા રોડ પરની ચિત્રકૂટ સોસાયટીની ગેરકાયદે બનાવેલી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવાયું

પાણી ગેટ રોડ રસ્તા પર શાકભાજીનો વેપાર ધંધો કરનારાઓને ખદેડી દેવાતા વિસ્તારમાં નાસભાગ

MailVadodara.com - Bulldozer-rolled-over-illegally-constructed-compound-wall-of-Chitrakoot-Society-on-Waghodia-Road

શહેરના વિવિધ વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા દબાણો સહિત આંતરિક સોસાયટીમાં રોડ રસ્તા દબાવીને કેટલાક લોકો કમ્પાઉન્ડ વોલ બનાવી દેતા હોય છે. આવી જ રીતે વાઘોડિયા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના ચારથી પાંચ ટેનામેન્ટ ધારકોએ રોડ રસ્તા દબાવીને ગેરકાયદે બનાવેલી કમ્પાઉન્ડ વોલ પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે તમાશો જોવા એકત્ર થયેલા સ્થાનિક લોકોને બંદોબસ્તમાં તૈનાત લોક ટોળાને ખદેડયા હતા. જ્યારે પાણીગેટ શાકભાજી અંગે રોડ રસ્તા રોકીને વેપાર ધંધો કરનારાનો માલ સામાન તથા મંગળ બજાર, દૂધવાળા મહોલ્લો અને સાયકલ બજારમાં દબાણ શાખાની ટીમે સપાટો બોલાવતા નાસભાગ મચી હતી. પરિણામે અકસ્માતના ભયથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. આ તમામ જગ્યાએથી કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન પાલિકા તંત્ર દ્વારા કબજે લેવાયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાનો પ્રારંભ આગામી દિવસોમાં થવાનો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી શરૂ કરી છે. વાઘોડિયા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના રોડ રસ્તા પર દબાણ કરીને કેટલાક લોકોએ કમ્પાઉન્ડ વોલ બનાવી દીધી હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. આ ઉપરાંત પાણીગેટ શાકમાર્કેટવાળા પણ રોડ રસ્તા રોકીને વેપાર ધંધો કરતા હોવાથી અકસ્માત નો ભય સર્જાય છે. તેવી જ રીતે દૂધવાળા મોહોલ્લાની અંદર સ્થાનિક રહીશોએ કરેલા હંગામી દબાણોને કારણે ગલીમાં જવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે. જ્યારે સાઇકલ બજારમાં બંને બાજુના ફૂટપાથ સહિત બંને તરફનો રોડ રસ્તો સાયકલના દુકાનદારો દ્વારા રોકી લેવાતા રોડ રસ્તા નાના થઈ જવાના કારણે વારંવાર અકસ્માત સહિત તકરારના બનાવો રોજિંદા બનતા હોવાની ફરિયાદો તંત્રને મળી હતી. 


પરિણામે વાઘોડિયા રોડ પર ચિત્રકૂટ સોસાયટીમાં આજે બુલડોઝર સાથે દબાણ શાખાની ટીમ ફરી વળી હતી. ચારથી પાંચ જેટલા મકાનોની ગેરકાયદે કમ્પાઉન્ડ જણાતા બુલડોઝર ફેરવીને તંત્ર દ્વારા તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. આવી જ રીતે પાણી ગેટ રોડ રસ્તા પર શાકભાજીનો વેપાર ધંધો કરનારાઓને ખદેડી દેવાતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. 

જ્યારે કાયમી માથાના દુખાવા રૂપ બનેલા મંગળ બજારના રોડ-રસ્તા રોકીને વેપાર ધંધો કરતા લારી ગલ્લા પથારા વાળાઓ સામે તંત્રની કાર્યવાહી થવાની હોવાની જાણ થતા જ તમામ લારી ગલ્લા પથારા વાળાઓમાં ગભરાટભરી નાસભાગ મચી હતી. જ્યારે દુકાનદારોએ પોતાના લગાવેલા લટકણીયા ફટાફટ કાઢી લેવાની શરૂઆત કરી હતી. પરંતુ આ અગાઉ દબાણ શાખાની ટીમ પહોંચી જતા કેટલાક લારી ગલ્લા પથારા વાળાઓ સહિત દુકાનદારોનો માલ સામાન કબ્જે કર્યો હતો.

જ્યારે દૂધવાળા મહોલ્લામાંથી હંગામી દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ સાયકલ બજારમાં તંત્ર ત્રાટકે એ અગાઉ મોટાભાગના સાયકલના વેપારીઓએ પોતાનો માલ સામાન ખસેડી રોડ રસ્તા ખુલ્લા કરી દીધા હતા. આમ છતાં પાલિકાની દબાણ શાખાએ તમામ જગ્યાએ કરેલી કાર્યવાહીમાં કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Share :

Leave a Comments