- નંદેસરીમાં રહેતો યુવક કોન્ટ્રાક્ટરને ટિફિન આપવા જતો હતો ત્યારે ઘટના બની
- ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, રખડતા ઢોર પર નિયંત્રણ લાવવામાં તંત્ર નિષ્ફળ
નંદેસરીના 47 વર્ષીય શ્રમજીવી બાઇક લઇને જતા હતા ત્યારે રણોલી જૂના મહાદેવ પાસે ગાય આડી આવતાં બાઈક સ્લિપ થયું હતું. જેમાં તેઓને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. શહેરમાં રખડતી ગાયોને કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે, જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના છેવાડાના વિસ્તારમાં બન્યો હતો.
મૂળ મહારાષ્ટ્રના અને નંદેસરી ગામ જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા 47 વર્ષીય ધનંજય રાજને રણોલી જીઆઈડીસીની એગ્રો કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા. તેઓ બુધવારે રાતે 8 વાગ્યે કોન્ટ્રાક્ટર દેવેન્દ્ર પરમારને ટિફિન આપવા બાઈક લઈને ગયા હતા. દરમિયાન તેઓ રણોલી જૂના મહાદેવ પાસે પહોંચ્યા ત્યારે ગાય બાઈકની આડે આવી હતી. જેથી ધનંજયભાઈએ કાબૂ ગુમાવતાં બાઈક સ્લિપ થયું હતું. તેઓ રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સોમવારે મોડી રાત્રે તેઓનું મોત થયું હતું. જે અંગે તેના પિતરાઇ ભાઇ વસંત રાજનેએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


