- ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફટાકડાને કારણે આગ લાગ્યાનું અનુમાન
વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચના ભારતની જીતના જશ્ન દરમિયાન લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.

ભારતની જીતની ઉજવણી દરમિયાન હજારો લોકો તિરંગા સાથે ચાર દરવાજા વિસ્તારમાં ઉમટી પડ્યા હતા અને ભારત માતાકી જય.. વંદે માતરમ.. ઇન્ડિયા ઇન્ડિયા... જેવા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અનેક સ્થળોએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. ચાર દરવાજામાં ચાલવાની જગ્યા પણ ન રહી હોય તેવા દ્રશ્યો વચ્ચે લહેરીપુરા દરવાજાની ઉપરના ભાગે આગના ભડકા નીકળતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ આવી જતા યુવકોએ ફાયર એન્જિનને જવા માટે જગ્યા કરી આપી હતી. જેથી થોડી જ વારમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફટાકડાને કારણે આગ લાગી હોય તેમ મનાય છે.


