- વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની સાથે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો છે તેની પસંદગી કરવાની હોય છે
ધો.૧૨ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછી ચાલતા કોમર્સ, સાયન્સ, આર્ટસ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું ફરજિયાત છે. વિદ્યાર્થીઓ માટે તા.૭ મેથી ફોર્મ ભરવા માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની સાથે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો છે તેની પસંદગી પણ કરવાની હોય છે.
આ પ્રવેશ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૧૨૪૫૩ વિદ્યાર્થીઓએ એમ.એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશનો વિકલ્પ પસંદ કર્યો છે. આ પૈકી સૌથી વધારે ૫૬૦૫ વિદ્યાર્થીઓએ એફવાયબીકોમમાં પ્રવેશ માટે ચોઈઝ ફિલિંગ કરી છે. જ્યારે સાયન્સ ફેકલ્ટી માટે ૨,૦૨૦, આર્ટસ માટે ૧,૧૭૨, હોમસાયન્સ માટે ૬૨૭, લો માટે ૩૪૦, એજ્યુકેશન માટે ૨૫૯, ફાઈન આર્ટસ માટે ૨૧૬, પાદરા કોલેજ માટે ૧૬૯, પરફોર્મિંગ આર્ટસ માટે ૧૩૨, જર્નાલિઝમ માટે ૯૩, સોશ્યલ વર્ક માટે ૫૯ અને સંસ્કૃત મહાવિદ્યાલય માટે ૧૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે. આ આંકડો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે છે.
જીકાસ પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮ મે છે. એટલે યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા હજી વધશે. યુનિવર્સિટીના જે કોર્સમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે તેમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને જીકાસ એમ બંને જગ્યાએ ફોર્મ ભરવું અનિવાર્ય છે. પ્રવેશ પરીક્ષા આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓ તા.૨૮ મે સુધી જીકાસ પર ફોર્મ ભરી શકશે.બેમાંથી એક જગ્યાએ ફોર્મ નહીં ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે નહીં.


