- બેન્ચ-ડેસ્ક સપ્લાયના કોન્ટ્રાક્ટમાં 50%થી 80% નફો આપવાની લાલચે કરોડો રૂપિયા પડાવ્યા
- દંપતીએ વેપારીને કહ્યું કે, તમારું પેમેન્ટ મળશે નહીં, લખનઉમાં દેખાશો તો જાનથી મારી નાખીશ
ઉત્તર પ્રદેશ સરકારમાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપીને UPના દંપતીએ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી 3.73 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ વેપારીને કહ્યું હતું કે, તમારું પેમેન્ટ મળશે નહીં, લખનઉમાં દેખાશો તો જાનથી મારી નાખીશ. આ મામલે વેપારીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા હેતલકુમાર કનૈયાલાલ સુથારે DCB પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જુલાઇ-2022થી 5 ફેબ્રુઆરી- 2025 દરમિયાન આરોપી અનિલકુમાર મોતીચંદ ગુપ્તા (સરસ્વતી એપાર્ટમેન્ટ,ગોમતી પુર, લખનૌ)એ
કોઇ સાઇટ પરથી મારો નંબર લઇ સંપર્ક કર્યો હતો અને તે પોતે હરિઓમ એન્ટરપ્રાઇઝના નામે યુપીના શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગોમાં માલ સપ્લાય કરતો હોવાથી ૧૫૦થી ૨૦૦ કરોડના કામો આવ્યા હોવાની વાતો કરી હતી. ત્યારબાદ અમે યુપી ફરવા ગયા ત્યારે હોટલમાં અનિલ સાથે મુલાકાત થઇ હતી અને તેની ઓફિસ પણ જોઇ હતી.
આ દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારના શિક્ષણ વિભાગમાં બેન્ચ-ડેસ્ક સપ્લાયના કોન્ટ્રાક્ટમાં ફરિયાદીને 50%થી 80% નફો આપવાની લાલચ આપી હતી અને દંપતીએ અલગ-અલગ એગ્રીમેન્ટો કરીને વેપારી પાસેથી RTGS દ્વારા 1,92,36,111 રૂપિયા રોકાણ કરાવ્યું હતું અને રૂ. 2,38,60,885ની કિંમતનો બેન્ચ-ડેસ્કનો માલ સપ્લાય કરાવ્યો હતો. આમ, કુલ રૂ. 4,30,96,996 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
આરોપીઓએ વેપારીને મૂડી અને નફા સહિત 6,31,22,992 રૂપિયામાંથી માત્ર 2,57,50,000 રૂપિયા ચૂકવ્યા, જ્યારે બાકી 3,73,72,992 રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી. આ ઉપરાંત અનિલકુમાર ગુપ્તાએ વેપારીને ફોન પર ધમકી આપી કે, હવે તમારું પેમેન્ટ મળશે નહીં, અને લખનઉમાં દેખાશો તો જાનથી મારી નાખીશ. વળી તેણે અમારા જોઇન્ટ એકાઉન્ટને બદલે પોતાના ખાતામાં પેમેન્ટ લીધું હતું. બાકીના રૂ.૩.૭૩ કરોડ નહિ ચૂકવીને અનિલે તેનું ઘર અને ઓફિસ બદલી નાંખ્યા છે. હું તેની નવી ઓફિસે ગયો ત્યારે તેણે મને મારી નાંખવાની ધમકી આપી હતી. તેની પત્નીએ પણ આવી જ રીતે અમારી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. આ મામલે વેપારીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ એ દંપતીની શોધખોળ શરૂ કરી છે.