- તમામ મૃતકોના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખસેડવામાં આવ્યા
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ગભરામણના કારણે ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક અન્ય ઘટનામાં વીજ કરંટના કારણે એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. આ તમામ મૃતકોના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખસેડવામાં આવ્યા હતા.
પ્રથમ બનાવ શહેરના સમા-સાવલી રોડ પર સ્કાય ગાર્ડન પાર્ટી પ્લોટની સામે આવેલા રામા સ્કાયમાં રહેતા 62 વર્ષીય સરસ્વતીબેન ચંદ્રશેખર ઐયર રાત્રે જમીને પોતાના ઘરે ઊંઘી ગયા હતા. રાત્રે 12.30 વાગ્યે તેમને ગભરામણની ફરિયાદ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું .
બીજા બનાવમાં શહેરના સેવાસી ગામની રાધેશ્યામ રેસીડેન્સીમાં રહેતા 58 વર્ષીય સુશીલ વસંતરાવ બોરવણકરને રાત્રે 11.30 વાગ્યે ગભરામણ થતા તાત્કાલિક તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ, હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ત્રીજા બનાવમાં વાઘોડિયા રોડ પર સત્તાધાર સોસાયટી નજીક સંતરામ નગરમાં રહેતા 68 વર્ષીય જ્યોત્સનાબેન સુખદેવ લખતરિયાને રાત્રે 11.00 વાગ્યા બાદ અચાનક ગભરામણનો હુમલો થયો હતો. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ત્રણેય બનાવોમાં ગભરામણના કારણે વૃદ્ધ અને પ્રૌઢ વયના વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત વડોદરા નજીક આવેલ વિરોદ ગામના વનરાજભાઈ રામુભાઈ ગોહિલ (ઉંમર વર્ષ 47) ને સવારે 9.00 કલાકે પોતાના ખેતરમાં વીજ કરંટ લાગતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મંજુસર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


