- ઇજાગ્રસ્ત નિલેશભાઈ સંગાડાને વીજ થાંભલા પર જોરદાર વીજ કરંટ લાગતા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબિયત વધુ નાજુક જણાતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સોનારકુઈ પાસે MGVCLના વીજ કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે એક શ્રમિકને વીજ કરંટ લાગ્યો હતો. ચાલુ વીજ લાઇન પર કામ કરતી વખતે આ અકસ્માત બન્યો હતો, જેથી આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરીરના કેટલાક માગો દાઝી જતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત નિલેશભાઈ રમણભાઈ સંગાડા નામના શ્રમિકને વીજ થાંભલા પર ચઢીને વીજ કામ કરતા સમયે જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત વધુ નાજુક જણાતાં તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સેફ્ટી સાધનો અને ફિટનેસ સાવચેતી વગર શ્રમિકોને કામે લગાડવાના કારણે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કોન્ટ્રાક્ટરે યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડ્યા હોત તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત.
કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે પછી અન્ય કોઈ કારણ તે તો તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં આ શ્રમિકની સારવાર ચાલુ છે અને આવી ઘટનાઓને લઈને સ્થાનિક સ્તરે કોન્ટ્રાક્ટરોની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થા વિશે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અવારનવાર આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે ત્યારે યોગ્ય તપાસ બાદ કાર્યવાહી થાય તે જરૂરી છે.


