હરણીના ભીડભંજન મારુતિ મંદિરે શ્રાવણના અંતિમ શનિવારે લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

ભગવાન શ્રી રામના આજ્ઞાથી હનુમાનજી અહીં બિરાજમાન હોવાની લોકવાયકા

MailVadodara.com - Lakhs-of-devotees-felt-blessed-after-visiting-the-Bhidbhanjan-Maruti-Temple-in-Harani-on-the-last-Saturday-of-Shravan

- પ્રભાત આરતીથી ભજન સંધ્યા સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા, મંદિર આજે રાતે 1થી 2 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે, સાંજે લોકમેળા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે


વડોદરાના હરણી વિસ્તારમાં સ્થિત ભીડભંજન મારુતિ મંદિર ખાતે વડોદરા અને આસપાસના વિસ્તારોના લાખો ભક્તો માટે આ મંદિર સંકટમોચન હનુમાનજીનું પરમ ધામ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.


પૌરાણિક કથા અને લોકમાન્યતા અનુસાર, પ્રાચીન સમયમાં આજનો હરણી વિસ્તાર ગાઢ જંગલો અને વટવૃક્ષોથી ઘેરાયેલો હતો. આ પવિત્ર તપોભૂમિ પર અનેક ઋષિ-મુનિઓ તપસ્યા કરતા હતા. લોકવાયકા પ્રમાણે, આ તપસ્યામાં વિઘ્નો ઊભા કરવા માટે હિરણ્ય નામના અસુરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો. જ્યારે પ્રભુ શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી પોતાના વનવાસ દરમિયાન આ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક ઋષિઓએ પોતાના પર થતા અત્યાચારો વિશે શ્રીરામને વ્યથા જણાવી.


શ્રીરામની આજ્ઞા મળતાં જ હનુમાનજી અને અસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધના અંતે હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અસુરને જમીન પર પછાડી પોતાના પગ નીચે દબાવી દીધો. અસુરની શક્તિઓ ફરી જાગૃત ન થાય અને ભક્તોના સંકટો કાયમ માટે દૂર થાય તે હેતુથી શ્રીરામે હનુમાનજીને આ સ્થળે જ નિવાસ કરવાનો આદેશ આપ્યો. આ પૌરાણિક ઘટનાને કારણે આ મંદિર ભીડભંજન એટલે કે દુઃખ અને સંકટ હરણ કરનાર ધામ તરીકે પ્રસિદ્ધ થયું.


આ મંદિરની સૌથી અનોખી અને દુર્લભ વિશેષતા અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ છે, જે સામાન્ય વાનર સ્વરૂપને બદલે માનવ સ્વરૂપમાં દર્શાવાઈ છે. લોકમાન્યતા મુજબ શ્રીરામે હનુમાનજીને ભવિષ્યમાં માનવ સ્વરૂપે પૂજાવાનું વરદાન આપ્યું હતું. આ કારણે મૂર્તિમાં માનવી જેવો ચહેરો, દાઢી અને મૂછ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મૂર્તિમાં દાદાનો જમણો હાથ માથા પર અને ડાબો હાથ છાતી પાસે દર્શાવવામાં આવ્યો છે, જે પ્રભુ શ્રીરામની આજ્ઞાનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર દર્શાવે છે.


બીજી તરફ, મંદિરના ઐતિહાસિક અને પ્રત્યક્ષ પાસા પર નજર કરીએ તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી જ આ મંદિર સાથે ભવ્ય ધાર્મિક પરંપરાઓ જોડાયેલી રહી છે.

દર વર્ષે શ્રાવણ મહિનાના શનિવારોએ વિશેષ કરીને શ્રાવણના છેલ્લા શનિવારે અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. સવારના પાંચ વાગ્યાથી જ મંદિર બહાર ભક્તોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળે છે. વહેલી સવારે આયોજિત ભવ્ય પ્રભાત આરતી, બપોરે સુંદરકાંડના પાઠ અને સાંજે સંગીતમય ભજન સંધ્યા જેવા ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. દર વર્ષે 3થી 4 લાખ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અને ભીડને ધ્યાનમાં રાખીને મંદિર મોડી રાત સુધી ખુલ્લું રાખવામાં આવે છે. આજે પણ આ મંદિર રાતે 1થી 2 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. હરણી ભીડભંજન મારુતિ મંદિર પોતાની અલૌકિક મૂર્તિ, પ્રાચીન કથા અને સમૃદ્ધ પરંપરાને કારણે આજે પણ લાખો લોકોની આસ્થાનું અમર કેન્દ્ર બની રહ્યું છે.


ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં હજારોની જનમેદની ઉમટે છે. મેળામાં આસપાસના ગામડાઓ તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે એકત્રિત થાય છે. જાહેર જનતાનને અગવડતા ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભક્તો મોટી સંખ્યામાં ઉમટીને હનુમાનજી દાદા પ્રત્યે આસ્થા પ્રગટ કરશે.

Share :

Leave a Comments