- વેપારી યુવકે દશરથ ભરવાડ, મેહુલ પટેલ, પ્રતિક વ્યાસ, કેતન ઠક્કર સામે ફરિયાદ નોંધાવી
શહેરના શાકભાજી અને ફ્રુટના વેપારીએ વડીલોપાર્જીત જમીન છોડાવવા રૂ. 2.79 કરોડની રકમ વ્યાજે લીધા બાદ રૂ. 2.91 કરોડની રકમ પરત ચૂકવવા છતાં વધુ રકમની માંગણી કરી પરેશાન કરતા 4 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોત્રી-સેવાસી વિસ્તારમાં રહેતો વિવેક માઈન સેવાસી ટીપી-1 ખાતે ફ્રુટ અને શાકભાજીનો વેપાર કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2024 -25માં મહારાષ્ટ્રની વડીલોપાર્જીત જમીન છોડાવવા નાણાની જરૂરિયાત ઉદ્ભવતા વ્યાજે રકમ લીધી હતી. જેમાં દશરથ જેસિંગ ભરવાડ (રહે -વારસિયા) પાસેથી રૂ.24 લાખ જેટલી રકમ વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત રૂ.63.79 લાખ રકમ ચૂકવી છે. સિક્યુરિટી પેટે દશરથ ભરવાડ બળજબરી પૂર્વક મારી થાર કાર લઇ ગયો હતો. તથા મેહુલ પટેલ (રહે -સેવાસી ગામ) પાસેથીરૂ .44 લાખ જેટલી રકમ વ્યાજ લીધી હોય તેની સામે રૂ.9 લાખ ચૂકવવા છતાં વધુ રૂ. 44 લાખની માંગણી કરે છે. તેમજ પ્રતિક વ્યાસ (રહે -સેવાસી ગામ) પાસેથી રૂ. 2 કરોડ જેટલી રકમ વ્યાજે લીધા બાદ તેની સામે રૂ. 2.17 કરોડ ચૂકવવા છતાં વધુ રૂ. 2.20 કરોડની માંગણી કરે છે. જ્યારે કેતન ઠક્કર (રહે - ગોત્રી) પાસેથી રૂ.11.25 લાખની રકમ વ્યાજે લીધા બાદ તેની સામે 2.20 લાખ ચૂકવવા છતાં વધુ રૂ. 11.25 લાખની માંગણી કરે છે. આ ચારેય વ્યક્તિ પૈસાની ઉઘરાણી માટે મને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાનગતિ કરી રહ્યા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.