- ચારેય ઝોનમાં તૈયાર કરાયેલા 10 કૃત્રિમ તળાવોમાં મધ્યરાત્રિથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
વડોદરા શહેરમાં 10 દિવસ સુધી પૂજા-અર્ચના કર્યા બાદ દશામાના વ્રતની આસ્થાભેર ઉજવણી પૂર્ણ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં તૈયાર કરવામાં આવેલા 10 કૃત્રિમ તળાવોમાં મધ્યરાત્રિથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુ વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ હતી.
મહાનગરપાલિકા અને તંત્રની સુચારુ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો ખાતે પૂરતી લાઈટિંગ, બેરિકેટિંગ અને સુરક્ષાની આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત ખડેપગે કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વયંસેવકોએ પણ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. સવાર સુધીમાં કુલ 20152 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
માંજલપુર ખાતે 3,800, મકરપુરામાં 647 અને તરસાલીમાં 868 મૂર્તિઓના વિસર્જનની સંખ્યા નોંધાઈ છે. કરણી ખાતે 428 નાની અને 40 મોટી મૂર્તિઓનું વિસર્જન થશે. સેવાસી ગ્રાઉન્ડ ખાતે 1,446 અને કિશનવાડી ખાતે 2,348 મૂર્તિઓનું વિસર્જન થશે.
વોર્ડ-13માં બનાવાયેલા તળાવ ખાતે 660, ભાયલી કૃત્રિમ તળાવ ખાતે 2,322, ગોરવા ખાતે 6,618 અને ખિલ મઢી કૃત્રિમ તળાવ ખાતે 975 મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે.


