વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા એક તરફ વરસાદી કાંસોની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ વરસાદી કાંસોમાં માટી વાળું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
વડોદરા શહેરમાં આ વખતે વરસાદી માહોલમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી વરસાદી કાંસો ઉપર થયેલા દબાણ અને વરસાદી કાંસોમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આવા વરસાદી કાંસોને કોર્પોરેશન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ જ વરસાદી કાંસોમાં બોરવેલનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શહેરના દંતેશ્વર બંસલ મોલની પાછળ આવેલી વરસાદી કાંસમાં ખાનગી ટ્રેક્ટર ચાલક દ્વારા માટીવાળું પાણી છોડવામાં આવ્યું હતું. એક તરફ આ વરસાદી કાસમાં પહેલેથી જ ગંદકીની સમસ્યા છે. આ કાસમાં સાફ-સફાઈ થઈ નથી તેવામાં બોરવેલનું પાણી છોડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે, શું આ બાબતથી તંત્ર અજાણ છે ? તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે.