- બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યાં; વારંવાર પગાર લેટ થતાં હડતાળ પર ઉતર્યા હતા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આજે (15 મે, 2025) આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. વર્ગ ચારના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે વર્ગ ચારના સફાઈ કરણીઓને લેવામાં આવ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતા આજે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે આરએમઓ દ્વારા બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાળ ચમેટી લીધી હતી.
આ અંગે સફાઈકર્મી પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ચોથા વર્ગના કર્મચારીઓ છીએ. અમારો પગાર થયો નથી, જેને લઈ અમે આજે અહીંયા હડતાળ પર બેઠા છીએ. બે મહિનાથી પગાર થયો નથી અને વારંવાર પગાર લેટ થાય છે. ના છુટકે આ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરવું પડ્યું છે. અમારી સાત વાગ્યાની નોકરી હતી, આરએમઓ સાહેબ આવ્યા અને મધ્યસ્થી થઈ. બે દિવસમાં પગાર કરવાની વાત કરી છે. ત્યારે અમે આ હડતાળ અહીંયા સમેટી છે. અમે 600 જેટલા કર્મચારીઓ છીએ. બે દિવસમાં પગાર નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડો હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આજે વર્ગ ચારના કર્મચારીઓ અમારી ઓફિસમાં આવ્યા હતા અને તેઓએ કહ્યું કે અમારો પગાર થયો નથી. આ જે કઈ સમસ્યા છે તે થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયું છે. અમે અમારા તરફથી પૂરતી પ્રોસેસ કરીશું કે પહેલા વર્ગ ચારના કર્મચારીઓને પગાર મળી જાય. વહીવટી પ્રક્રિયામાં ખામીના કારણે આ પગાર લેટ થતો હોય છે. પરંતુ અમારી પૂરતી કોશિશ હોય છે કે પગાર સમયસર મળી જાય. આ બાબતે અમે એજન્સીને જવાબદારી હોવી જ જોઈએ તે પ્રમાણે સૂચનાઓ આપી છે અને જરૂર જણાશે તો નોટિસ પણ આપીશું.